તું સર્વસત્તાધીશ છે ; તું સર્વાધાર નો સંતાન છે;
આ વિશ્વ છે તારું સદન, તુજ આત્મારૂપ મહાન છો !
આવી ઉભો સંગ્રામમાં, કર્તવ્ય નિજ વિસરી ગયો
શોકેડૂબી ને મોહવશ, નિજધર્મ ને ભૂલી ગયો !
તું દીનહીન મલિન વાણી, બોલતા શરમાય ના;
જે છે અચળ આદિ અનાદિ, દેહથી ભરમાય ના !
આ દેહ ના સાધન વડે, ઝટ સાધી લે તું ઉન્નતિ:
આળસમહી ચૂકીશ જો, કર્તવ્ય થાશે અવનતિ !
ક્ષણક્ષણ થઇ આયુષ્ય વીતે છે; વિચારી જો ફરી
તું ચાલ પથ પર માંડ ડગલાં, અભયને ધારણ કરી !
નિષ્કામ કર્મ કરે વીરો, ફળ ની અપેક્ષા ના ધરે;
સુખદુઃખ થી લેપાય ના, જે સર્વ બ્રહ્માપર્ણ કરે !
આ મેં કર્યું અભિમાનથી, મનમાં તું મણકા સેરવે,;
નિમિત્ત તું તો માત્ર, આ જગતયંત્ર બીજો ફેરવે !
સોંપે પ્રભુજી કર્મ જે તે, આપણે કરવા પડે;
ગમતા ન ગમતા હોયપણ, નિદાન આચરવા પડે !
તું દે ધ્રુજાવી ધરણને, ઓ વીર તારા ચરણ થી;
જે અભયપદ પામી ચુક્યો; તેઓ ડરે ના મરણ થી !
અન્યાય સહેવો ભીરુ થઇ; શોભે ન શ્રેષ્ઠ મનુષ્યને;
તું ઊંઠ દુર્બળતા ત્યજીને, ખેંચ બાણ ધનુષ્યને !
મિત્રો, ઉપર ની પ્રેરણાદાયક કવિતા મને એક જૂનું પુસ્તક વાંચતા વાંચતા મળી આવી હતી.
આ કવિતા કવિ ” મધુર “ દ્વારા રચવા માં આવી હતી. આ કવિતા ના એક એક શબ્દ ગજબ નું જોશ આપે છે. જેમ કૃષ્ણ ની આ પ્રેરણાદાયક કવિતા થી મહાન યોદ્ધા અર્જુન ને યુદ્ધ કરવા ની પ્રેરણા મળી તેમ કદાચ આ કવિતા વાંચવા થી જો કોઈને પણ થોડીક પણ પ્રેરણા મળી જશે તો આપણા આ મહાન કવિ ” મધુર ” ની મહેનત ફળી જશે.